Proverbs 14

1દરેક સમજુ સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે,
પણ મૂર્ખ સ્ત્રી પોતાને જ હાથે તેનો નાશ કરે છે.
2જે વિશ્વનીયતામાં ચાલે છે તે યહોવાહનો ડર રાખે છે,
પણ જે પોતાના માર્ગોમાં અવળો ચાલે છે તે તેને ધિક્કારે છે.

3મૂર્ખના મુખમાં અભિમાનની સોટી છે,

પણ જ્ઞાનીઓના હોઠ તેઓનું રક્ષણ કરે છે.
4જ્યાં બળદ ન હોય ત્યાં ગભાણ સાફ જ રહે છે,
પણ બળદના બળથી ઘણી ઊપજ થાય છે.

5વિશ્વાસુ સાક્ષી જૂઠું બોલશે નહિ,

પણ જૂઠો સાક્ષી જૂઠું જ બોલે છે.
6હાંસી ઉડાવનાર ડહાપણ શોધે છે પણ તેને જડતું નથી,
પણ ડાહી વ્યક્તિ પાસે ડહાપણ સહેલાઈથી આવે છે.

7મૂર્ખ માણસથી દૂર રહેવું,

તેની પાસે તને જ્ઞાનવાળા શબ્દો સાંભળવા નહિ મળે,
8પોતાનો માર્ગ સમજવામાં ડાહ્યા માણસનું ડહાપણ છે,
પણ મૂર્ખની મૂર્ખાઈ તેનું કપટ છે.

9મૂર્ખ પ્રાયશ્ચિત્તને હસવામાં ઉડાવે છે,

પણ પ્રામાણિક માણસો ઈશ્વરની કૃપા મેળવે છે.
10અંતઃકરણ પોતે પોતાની વેદના જાણે છે,
અને પારકો તેના આનંદમાં જોડાઈ શકતો નથી.

11દુષ્ટનું ઘર પાયમાલ થશે,

પણ પ્રામાણિકનો તંબુ સમૃદ્ધ રહેશે.
12એક એવો માર્ગ છે જે માણસને ઠીક લાગે છે,
પણ અંતે તેનું પરિણામ તો મરણનો માર્ગ નીવડે છે.

13હસતી વેળાએ પણ હૃદય ખિન્ન હોય છે,

અને હર્ષનો અંત શોક છે.
14પાપી હૃદયવાળાએ પોતાના જ માર્ગનું ફળ ભોગવવું પડશે
અને સારો માણસ પોતાનાં જ કર્મોનું ફળ માણે છે.

15ભોળો માણસ બધું માની લે છે,

પણ ચતુર માણસ પોતાની વર્તણૂક બરાબર તપાસે છે.
16જ્ઞાની માણસ દુષ્ટતાથી દૂર રહે છે,
પણ મૂર્ખ માણસ ઉન્મત્ત થઈને બેદરકાર બને છે.

17જલદી ક્રોધ કરનાર મૂર્ખાઈ કરી બેસે છે,

અને દુષ્ટ યોજનાઓ ઘડનાર ધિક્કાર પામે છે.
18ભોળા લોકો મૂર્ખાઈનો વારસો પામે છે,
પણ ડાહ્યા માણસોને વિદ્યાનો મુગટ પહેરાવવામાં આવે છે.

19દુષ્ટોને સજ્જનો આગળ ઝૂકવું પડે છે,

અને જેઓ દુષ્ટ છે તેઓને સદાચારીઓને બારણે નમવું પડે છે.
20ગરીબને પોતાના પડોશીઓ પણ ધિક્કારે છે,
પરંતુ ધનવાનને ઘણા મિત્રો હોય છે.

21પોતાના પડોશીને તુચ્છ ગણનાર પાપ કરે છે,

પણ ગરીબ પર દયા કરનાર આશીર્વાદિત છે.
22ભૂંડી યોજનાઓ ઘડનાર શું ભૂલ નથી કરતા?
પણ સારી યોજનાઓ ઘડનારને કૃપા અને સત્ય પ્રાપ્ત થશે.

23જ્યાં મહેનત છે ત્યાં લાભ પણ હોય છે,

પણ જ્યાં ખાલી વાતો જ થાય ત્યાં માત્ર ગરીબી જ આવે છે.
24જ્ઞાનીઓનો મુગટ તેઓની સંપત્તિ છે,
પણ મૂર્ખોની મૂર્ખાઈ તે જ તેમનો બદલો છે.

25સાચો સાક્ષી જીવનોને બચાવે છે,

પણ કપટી માણસ જૂઠાણું ઉચ્ચારે છે.

26યહોવાહનાં ભયમાં દૃઢ વિશ્વાસ સમાયેલો છે,

તેનાં સંતાનોને તે આશ્રય આપે છે.
27મોતના ફાંદામાંથી છૂટી જવાને માટે,
યહોવાહનો ભય જીવનનો ઝરો છે.

28ઘણી પ્રજા તે રાજાનું ગૌરવ છે,

પણ પ્રજા વિના શાસક નાશ પામે છે.
29જે ક્રોધ કરવામાં ધીમો છે તે વધારે સમજુ છે,
પણ ઉતાવળિયા સ્વભાવનો માણસ મૂર્ખાઈને પ્રદર્શિત કરે છે.

30હૃદયની શાંતિ શરીરનું જીવન છે;

પણ ઇર્ષ્યા હાડકાનો સડો છે.
31ગરીબ પર જુલમ કરનાર તેના સર્જનહારનું અપમાન કરે છે,
પણ ગરીબ પર રહેમ રાખનાર તેને માન આપે છે.

32દુષ્ટને પોતાની દુષ્ટતાથી હડસેલી નાખવામાં આવશે,

પરંતુ ન્યાયી માણસને પોતાના મૃત્યુમાં પણ આશા હોય છે.
33બુદ્ધિમાનના હૃદયમાં ડહાપણ વસે છે,
પણ મૂર્ખના અંતરમાં ડહાપણ નથી હોતું તે જણાઈ આવે છે.

34ન્યાયીપણાથી પ્રજા મહાન બને છે,

પણ પાપ તો પ્રજાનું કલંક છે.
બુદ્ધિમાન સેવક પર રાજાની કૃપા હોય છે,
પણ બદનામી કરાવનાર પર તેમનો ક્રોધ ઊતરે છે.
35

Copyright information for GujULB